‘પ્રેમગંગાને વહાવવી છે’

વ્હાલા આત્મીયજનો,

શિવરાત્રીના પાવન પ્રસંગે આપ સર્વેના જીવનમાં સદાય શિવતત્વનો આવિર્ભાવ થતો રહે, સત્ય, પ્રેમ, કરુણાનો અહર્નિશ ઉદય થતો રહે.

ભગીરથરાજાના આધ્યાત્મિક પ્રયત્નથી તપના તેજથી શિવજીના માધ્યમથી ગંગાજીનું પૃથ્વિ પર અવતરણ કરાવ્યું અને પોતાના આત્મીયજનોને મૂર્છિત અવસ્થામાંથી નવજીવન બક્ષ્યું, પુનર્જિવિત કર્યા.

મારે માનવમનમાં અને સમગ્ર વિશ્વમાં પ્રેમ ગંગા વહાવવી છે. ૧૯૭૩ની મહાશિવરાત્રીના દિવસે માતાજીએ મારા ગળામાં મોતીની માળા આરોપી મારા અસ્તિત્વમાં પરમ શિવત્વને જાગૃત કર્યું. કર્યાન્વિત કર્યું અને માનવસેવાનું, માનવતાને મહેંકાવવાનું નિર્દેશન કર્યું. વિશ્વમાં માનવતા પ્રસરાવવાની પ્રેરણા પ્રદાન કરી, માર્ગદર્શન આપ્યું.

વ્યક્તિગત માનવ સેવા, સમાજ સેવા, રાષ્ટ્ર સેવા અને વૈશ્વિક સેવા મારા જીવનના અવિભાજ્ય અંગ બની ગયા.

પ્રેમગંગાજળના સ્પર્શ અને સ્નાનથી હું,

(૧) માનવતાને મહેકાવી રહ્યો છું.

(૨) માનવ સંસ્કૃતિને પુનર્જિવિત કરવાનો પુરુષાર્થ કરી રહ્યો છું.

(૩) ગર્ભસ્થ શિશુથી પાંચવર્ષ સુધીના બાળકોમાં સુસંસ્કારના સિંચનથી ભાવિ પેઢીમાં સાત્વિક્તા,
સહૃદયતાનો ભાવ સદાય વિદ્યમાન રહે.

(૪) નકારાત્મક્તા, દુષણો, દુર્ગુલો, દુવૃત્તિઓમાં ફસાયેલા, ભીંસાયેલા યુવામાનસને પ્રેમ, હુંફ, યોગ્ય
માર્ગદર્શન આપી નવસિધ્ધાંતોને આત્મસાત કરવા પ્રેરણા પ્રદાન કરી રહ્યો છું.

(૫) અહમ્, આંતક, અરાજકતા, અને વિનાશક અણુશસ્ત્રોનો આશ્રય લઈ માનવ સમુદાય અને
સંસ્કૃતિનો વિધ્વંસ કરવા ઈચ્છતા વિશ્વના વિકૃત મનવાળા માંધાતાઓના માનસમાં પ્રેમનો, શાંતિનો,
સહૃદયતાનો ધોધ વહાવીને વિનાશક વિચારોથી મૂર્છિત થયેલા મનને પુનર્જિવિત કરી, સાત્વિકતાનો,
પ્રેમનો, આત્મીયતાનો સ્પર્શ મંત્રશક્તિના માધ્યમથી કરાવી રહ્યો છું.
વિશ્વયુધ્ધના ઘેરાયેલા વાદળોને મંત્ર શક્તિના આંદોલનોથી વિખેરવાનો અને શાંતિ સ્થાપવાન
મારો આધ્યાત્મિક પ્રયત્ન થઈ રહ્યો છે.

(૬) મંત્રશક્તિ સંક્રાંત કરીને પાપ કર્મ મુક્તિ કવચ બનાવેલ છે, જેના સંસ્પર્શથી આ જન્મમાં જાણ્યે
અજાણ્યે તન, મન, ધનથી થયેલ પાપકર્મમાંથી મુક્ત થઈ વ્યક્તિ માનસિક શાંતિનો અનુભવ કરી શકે
છે.

વ્હાલા આત્મીયજનો, આપ સર્વે આપના શિવતત્વને જાગૃત કરો, કાર્યાન્વિત કરો અને અસાત્વિક્તાથી મૂર્છિત થયેલા માનવ મનને પ્રેમગંગાજળનું પાન કરાવો, સત્સંગથી સ્નાન કરાવો અને નવજીવન પ્રદાન કરો. આપ પુરુષાર્થ કરો માર્ગદર્શન, પ્રેરણા મળી રહેશે.

મારા આપ સર્વેને આશીર્વાદ છે.

ૐ મા ૐ 
રાજયોગી નરેન્દ્રજી